પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ

મે-૧૯૬૯, ચાણસદ

અક્ષરધામના અક્ષર

આજે સામાન્ય વાતચીત ચાલી. કોઈએ કહ્યું : ‘આપના અક્ષર ઘડીકમાં ઉકલે નહિ.’ 

‘હા.’ સ્વામીશ્રી કહે. 



‘બાપા ! પહેલાં આપના અક્ષર સારા હતા, કેમ ? બીજાએ કહ્યું. 

‘હા.’ 

‘હવે કેમ બગડી ગયા ?’ 

સ્વામીશ્રી કશું બોલ્યા નહિ. તેથી અંદર અંદર જ કોઈ બોલ્યું કે : ‘હવે બહુ લખવાનું થયું એટલે બગડી ગયા, કેમ ?’ 

‘હા.’ સ્વામીશ્રી બોલ્યા.

ત્યાં અચાનક એક સંતે કહ્યું : ‘બાપા ! શાસ્ત્રીજી મહારાજના અક્ષર પણ એવા ગરબડ ગોટાળાવાળા હતા. ઉકલે નહિ તેવા.’ 



આ સાંભળતાની સાથે સ્વામીશ્રીએ તુરત જ પોતાના બંને કાનમાં આંગળી નાખી દીધી. જાણે પોતાના ગુરુ માટેનું જરા સરખું પણ ઊતરતું વેણ સાંભળવા તૈયાર ન હોય અને જોરથી માથું ધુણાવતાં કહે : ‘ના, ના, શાસ્ત્રીજી મહારાજના અક્ષર તો અક્ષરધામના હતા !' આવો અહોભાવ અહર્નિશ પોતાના ગુરુ તરફ એમને સહજ સ્વભાવે રહેતો.

Comments